18/03/2026
પુસ્તક મહોત્સવ 2026
શ્રી ચોક્સી કોલેજ વેરાવળમાં 'પુસ્તક મહોત્સવ' BOOK BONANZA ની ઉજવણી કરવામાં આવેલ.
શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટસ અને શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ, વેરાવળ ખાતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ પુસ્તક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. "પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે" એ ઉક્તિને સાર્થક કરતા આ કાર્યક્રમમાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને વાંચન સંસ્કૃતિનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિદોએ પુસ્તકોના વૈભવને માણ્યો કોલેજની સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે સવારે ૦૮:૦૦થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી ચાલેલા આ પુસ્તક મહોત્સવમાં સંસ્થાના ચેરમેનશ્રી સુરેશભાઇ કંપાણી, સેક્રેટરીશ્રી ભરતભાઇ શાહ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલ સચિવશ્રી મહેશભાઇ મેતરા સાહેબ, પ્રિન્સિપાલ નરેન્દ્ર પંડ્યા સાહેબ સવજાણી કોલેજના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ કારીયા, નવલભાઈ ભાવસાર, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.જે. બંધિયા સાહેબ,ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સ્મિતાબેન છગ,જે.એમ.સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટીર્શ્રી જયસ્વાલ સાહેબ, રેયોન સ્કૂલના આચાર્યશ્રી તેમજ સ્ટાફ , જન સેવા ટ્રસ્ટ રેયોન તેમજ વિવિધ સ્વેછિક,સામાજિક સંસ્થાના હોદેદારો તથા જુદી જુદી કોલેજોના પ્રધ્યાપકશ્રીઓ અને ૨૦૦ જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રિન્સીપાલ ડો. જીગર રાવલે જણાવ્યું હતું કે, "ઉત્તમ પુસ્તકો જીવન બદલવાની શક્તિ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે અને તેઓ જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરે તેવા હેતુથી લાયબ્રેરી સમિતિ દ્વારા આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે." કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક મુલાકાત લીધી હતી. અંગ્રેજી સાહિત્યથી લઈને વિવિધ વિષયોના જ્ઞાન સભર પુસ્તકોના પ્રદર્શનને નિહાળી પુસ્તક પ્રેમીઓએ વાંચનના આનંદને વધાવ્યો હતો. ગ્રંથપાલ ડો. મૈત્રી જોશીએ લાયબ્રેરીના વિવિધ પુસ્તકોના સંગ્રહ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સીપાલ પ્રો. (ડો.) જીગર આર. રાવલ તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ અને ગ્રંથપાલ તથા એન.એસ.એસ. અને એન.સી.સી. ના વિધાર્થીઓ દ્રારા જહેમત ઉઠાવવામાં આવેલ.